Tapi news: રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

 Tapi news: રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઇ


-

“વૃક્ષ વાવવું એ મારી જીદ્દ નહી પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા વૃક્ષા રોપણનું મહત્વ સમજાવતા મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ

-

ભાવિ પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કરતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ

-

માહિતી બ્યુરો, તાપી તા. ૧૯:- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ “વૃક્ષ વાવવું એ મારી જીદ્દ નહી પરંતુ  વૃક્ષ વાવવું એ મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા પ્રાકૃતિ પ્રેમીઓ સહિત નાગરીકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો.


રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'એક પેડ માં કે નામ' અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતા ના નામે એક વૃક્ષ વાવવું જોઈએ..વધુમાં વધું વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે. 


પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા તાપી જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદાર બનીને વૃક્ષો વાવવા જોઈએ. આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ હિતેચ્છુ અભિગમ અપનાવવો જોઈએ. એમ ઉમેર્યું હતું.    


આ પ્રસંગે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા લાભાર્થીઓને લાભો અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા.મહાનુભાવોના હસ્તે વેલઝર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


સામાજિક વનિકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેંજ સોનગઢ દ્વારા આયોજિત સોનગઢ તાલુકા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણીમાં સંગઠનના હોદ્દેદારશ્રી વિક્રમભાઇ ગામીત, સહિત અન્ય હોદ્દેદરો, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી કે,કે.ચૌધરી સોનગઢ-સાદડવેલ રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીઓ તથા વિવિધ ગામોના સરપંચશ્રીઓ,આગેવાનો,પ્રકૃતિપ્રેમીઓ,વેલઝર શાળાના શિક્ષકગણ, સહીત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી  બન્યા હતા.



Comments